શનિવાર, 24 જૂન, 2017

અકબંધ હોય છે...

જેનો જરા ય પરિચય નથી, એની સાથે સંબંધ હોય છે!
ત્યાં સુધી મઝા, જ્યાં સુધી અજાણપણું અકબંધ હોય છે !

ઘણી વાર એવું થાય કે આપણે કંઈ જ કરવું પડતું નથી!
બધું થતું રહે છે આપોઆપ, ઇશ્કમાં એવો પ્રબંધ હોય છે.

સાચી સગાઈ એવી હોય કે કદી ન મટે મોત આવે તો ય!
ફૂલો કરમાય જાય તો ય એમાં મઘમઘતી સુગંધ હોય છે.

હપ્તાઓમાં જિંદગી ખરચી ક્યાં સુધી કરતા રહીશું કમાણી?
અંતે તો આખરી મંજિલે જવા જરૂરી ફક્ત ચાર સ્કંધ હોય છે.

માણસે જ માણસને સાચવી લેવાનો હોય છે આ જગતમાં!
માણસને જગતમાં મોકલ્યા બાદ દ્વાર ખુદાના બંધ હોય છે.

જ્યાં જ્યાં નજર કરશો તો હું નજરે આવીશ, ને મને તમે !
જાલિમ દુનિયા ભલે યુગોથી કહેતી રહે પ્રેમ અંધ હોય છે.

એમ તો થોડી પંક્તિઓની જ હોય છે દરેક કવિતા નટવર!
વાંચતા આવડે તો યાર મારા એ લાગણીનો નિબંધ હોય છે!



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું