શનિવાર, 24 જૂન, 2017

મદમસ્ત નિરાંત...


આંખોથી જે કરેલ એ વાત વિશે નથી કંઈ કહેવું.
જાગતા વિતાવી છે એ રાત વિશે નથી કંઈ કહેવું.

જાણીતાંઓ જ ઘાયલ કરીએ ચાલ્યા ગયા મને!
એમના એ ઘાત-પ્રત્યાઘાત વિશે નથી કંઈ કહેવું.

એકલાં એકલાં વહાવ્યા છે અમે આંસુંઓ ક્યાંક !
એવા ડૂસકાંઓના કલ્પાંત વિશે નથી કંઈ કહેવું.

મને જ હું હજુ સુધી પૂરો ઓળખી જ નથી શક્યો !
મારી સાવ એ અજાણી જાત વિશે નથી કંઈ કહેવું.

રોજબરોજ મળે છે સદા આવતા જતા રસ્તામાં !
એ અડધી અધૂરી મુલાકાત વિશે નથી કંઈ કહેવું.

સમજતા સમજતા સમજશે મહેફિલ પણ એક દિ;
લાગણીની શબ્દમાં રજૂઆત વિશે નથી કંઈ કહેવું!

અંતની અસર વિશે વિચારતા રહ્યા સદાય એઓ;
એમની એ સાથેની શરૂઆત વિશે નથી કંઈ કહેવું.

કબરમાં રહી ગઈ આંખો ખૂલી કોઈના ઈંતેજારમાં;
મદમસ્ત એ નિરાંત વિશે નટવર  નથી કંઈ કહેવું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું