જ્યારે જ્યારે પુષ્પ ખરી પડે કોઈ ડાળેથી;
કોમળ છે મારું હૈયું, બહુ વિહવળ થાય છે.
ફૂલો તો ઘણા ય છે રંગબેરંગી ને સુગંધી;
કાદવમાં ઊગી ખીલે એ જ કમળ થાય છે.
જ્યારે જ્યારે સૂકવે છે એ કેશ અગાશીએ;
મારા મનના આકાશે ય વાદળ થાય છે.
જ્યાં જ્યાં નિહાળું ત્યાં એને જ ભાળું હું તો;
શું ઇશ્કમાં આંખોમાં ય કોઈ પડળ થાય છે?
બનાવી પ્રભુને પથ્થર પૂર્યો હવે મંદિરમાં;
શું કરે? પ્રભુ જેવો પ્રભુ અવિચળ થાય છે.
બહુ દોડ્યો તો ય હાથમાં ન આવ્યું નસીબ;
હંમેશ એ મારાથી બે ડગલા આગળ થાય છે.
લખતા લખતા લખાઈ જાય નટવર નજમ;
ઘાયલ દિલમાં લાગણીઓ સળવળ થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું