ગુરુવાર, 8 માર્ચ, 2012

ન કર.......


શબ્દો ઓછા પડશે, મૌનનો તું અનુવાદ ન કર;
નજરો જો વાત કરે તો ઠાલા તું સંવાદ ન કર.

સુખના હોય એક દુઃખના એ ખારા જ હોય છે;
વહેવા દે, વહેતા આંસુઓનો તું સ્વાદ ન કર.

સૂતો છે, સુવા દે ભગવાનને નિરાંતે મંદિરમાં;
મંદિરે વારે વારે સવાર સાંજ તું ઘંટનાદ ન કર.

બહેરો છે ફોજદાર ને સાવ આંધળો ન્યાયાધીશ;
કોણ કરશે હવે ન્યાય? ખોટી તું ફરિયાદ ન કર.

ક્યાં કદી એ જવાબ આપે છે કે તને આપશે એ;
આયના સાથે તન્હાઈમાં તું વાદ વિવાદ ન કર.

વીસરી જવાનું કહી નીસરી ગયા નટવર એ તો;
વીસરી જે ગયા, એને નિશદિન તું યાદ ન કર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું